Add parallel Print Page Options

અપરાધ અને ઉદ્ધાર

ઉદૃંડ, બંડખોર તથા ષ્ટ થયેલી જુલમી નગરીને અફસોસ! તેણે ન તો યહોવાની આજ્ઞાનો સાદ સાંભળ્યો કે ના કોઇ શિસ્ત શીખ્યા. તેમને યહોવા ઉપર જરાય વિશ્વાસ ન હતો. તેઓ દેવની સમીપ આવ્યા નહિ. તેમાં વસતા અમલદારો જાણે ગર્જના કરતા સિંહ જેવા છે; તેના ન્યાયાધીશો ભૂખ્યાં વરુઓ જેવા છે, જે સાંજનું સવાર સુધી રહેવા દેશે નહિ. તેના પ્રબોધકો ઘમંડી માણસો છે; તેના યાજકો પવિત્ર સ્થાનને દુષિત કરે છે. અને દેવના નિયમશાસ્ત્રનું નિકંદન કાઢે છે. પણ તેમાં વસતા યહોવા ન્યાયી છે, તે અધમ કાર્ય કરતા નથી. તે નિયમિત રીતે દરરોજ સવારમાં ચુકાદો આપે છે. તથા તે પ્રભાતમાં ચૂકતા નથી છતાં અનીતિમાન લોકોને શરમ આવતી નથી.

દેવ કહે છે, “મેં પ્રજાઓનો નાશ કર્યો છે. તેઓની દૂરની ઊંચી મજબૂત ઇમારતોનો નાશ કર્યો છે. તેઓની શેરીઓ અને નગરોને વસ્તી વગરના કરી દીધાં છે. ત્યાં કોઇ જરા પણ જતું કે રહેતું નથી. મને થયું કે મારા લોકો હવે મારાથી શિસ્તપાલન કરતા શીખશે. તો તેઓના ઘરનો નાશ થશે નહિ. મેં તેઓ માટે નક્કી કરેલ સજા થશે નહિ.” પણ તેઓ તો વધુ અધમ કામ કરવા વહેલા ઉઠે છે.

યહોવા કહે છે, “મારી પ્રતિક્ષા કરો, હું પ્રજાઓ પર આરોપ મૂકવા ઊભો થાઉં તે દિવસની રાહ જુઓ, કારણ કે પ્રજાઓને અને રાજ્યોને એકઠાં કરીને તેમના પર મારો બધો ગુસ્સો અને સંતાપ વરસાવવાનો મેં નિર્ધાર કર્યો છે. મારા માત્ર ક્રોધને લીધે પૃથ્વી ખાખ થઇ જશે. ત્યારબાદ હું બધા લોકોને પવિત્ર હોઠ આપીશ, જેથી તેઓ મારું નામ લઇ શકે અને ખભેખભા મિલાવીને મારી સેવા કરે. 10 વેરવિખેર થઇ ગયેલા મારા ભકતો ઠેઠ કૂશની નદીઓની સામે પારથી પણ મારે માટે અર્પણ લઇ આવશે.

11 “હે યરૂશાલેમ, તે દિવસે તમે મારી સામે બળવો પોકારીને જે જે દુષ્કૃત્યો કર્યાં છે, તેને માટે તમારે શરમાવું નહિ પડે. કારણ કે તે વખતે હું તમારા અભિમાની અને ઉદ્ધત નાગરિકોને હાંકી કાઢીશ; પછી તારા લોકો મારા પવિત્રપર્વત પર ઉદ્ધતાઇભર્યુ વર્તન કરી સકશે નહિ. 12 પરંતુ હું તમારામાં એવા જ લોકોને રહેવા દઇશ જે નમ્ર અને દીન હોય; અને તેઓ મારા નામ પર વિશ્વાસ રાખશે. 13 ઇસ્રાએલના બાકી રહેલા લોકો તે પછી દુષ્ટ કામ કરશે નહિ, અસત્ય બોલશે નહિ, અને અપ્રામાણિકતાથી કાર્ય કરશે નહિ. તેઓ સદા શાંતિ અને આરામદાયક રીતે રહેશે અને તેમને કોઇનોય ભય રહેશે નહિ.”

આનંદના સમાચાર

14 ઓ સિયોનની પુત્રી હર્ષનાદ કર!
    ઓ ઇસ્રાએલ આનંદના પોકાર કર!
    યરૂશાલેમના લોકો, ઉલ્લાસમાં આવીને આનંદોત્સવ કરો!
15 યહોવાએ ન્યાય અનુસાર તમને કરેલી શિક્ષાનો અંત કર્યો છે.
    તેમણે તમારા શત્રુને હાંકી કાઢયા છે;
ઇસ્રાએલના રાજા, એટલે યહોવા, તમારામાં છે;
    હવે પછી તમને કોઇ પણ પ્રકારની આપત્તિનો ડર લાગશે નહિ.
16 હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે યરૂશાલેમના લોકોને આ સંદેશો મળશે,
    “ઓ સિયોન, ડરીશ નહિ, તારા હાથ ઢીલા થવા દઇશ નહિ.
17 યહોવા તમારા દેવ શૂરવીર માણસની જેમ
    તમારું રક્ષણ કરવા તમારી વચ્ચે છે.
    તે તમારા પર કૃપાળું થઇ ખુશ થાય છે.
તે તારા પર ફરી પોતાનો પ્રેમ પ્રગટ કરે છે,
    અને એક ઉત્સવના દિવસની જેમ
તે ખૂબ આનંદથી પોકાર કરે છે.
18     મેં નિશ્ચિત કરેલા ધામિર્ક ઉત્સવ પર
શોક કરનારાઓને એકત્ર કર્યા છે.
    અને તમને આપેલાં અપમાન પાછા લઇ લઇશ.
19 તે સમયે જેઓએ તમારા ઉપર જુલમ કર્યો છે,
    તેઓ સાથે હું સખતાઇથી વર્તીશ.
    હું નબળાં અને લાચાર લોકોનું રક્ષણ કરીશ.
હું જેઓને હાંકી કાઢવામાં આવ્યાં હતાં તેઓને પાછા લાવીશ.
    જેઓની મશ્કરીઓ અને તિરસ્કાર થયો હતો તેઓને હું આખી દુનિયામાં યશ અને કીર્તિ મેળવી આપીશ.
20 એ સમયે હું તમને પાછા લાવીશ.
    તમારી નજર સમક્ષ;
તમારું ભાગ્ય ફેરવીને તમને પૃથ્વી પરના સર્વ લોકો કરતાં અલગ એવું અતિ ઉત્તમ નામ આપીશ.
    ત્યારે તેઓ તમારી પ્રસંશા કરશે.”
આ યહોવાના વચન છે.