Add parallel Print Page Options

યહોવા કહે છે,
“હે ઇસ્રાએલ, જો તારે પાછા આવવું હોય તો
    તું મારી પાસે જ પાછો આવ,
તારી ઘૃણાસ્પદ મૂર્તિઓ ફગાવી દે
    અને ફરીથી ખોટે માર્ગે જતો નહિ
અને જો તું સત્યથી,
    ન્યાયથી તથા નીતિથી,
    ‘યહોવા જીવે છે’ એવા સોગંદ ખાઇશ;
તો સર્વ પ્રજાઓ તેનામાં પોતાને આશીર્વાદિત કહેશે,
    તથા તેનામાં અભિમાન કરશે.”

યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને યહોવા આ પ્રમાણે કહે છે,

“તમારાં વણખેડેલા ખેતર ખેડી નાખો,
    તમારાં બીજ કાંટા ઝાંખરા
    વચ્ચે વાવશો નહિ;
યહોવાનું શરણું સ્વીકારો,
    તમારાં હૃદયનો મેલ ધોઇ નાખો,
રખેને તમારા દુષ્કૃત્યોને કારણે મારો રોષ અગ્નિની જેમ ભભૂકી ઊઠે
    અને ઠાર્યો ઠરે જ નહિ અને ભડભડતો જ રહે.”

ઉત્તર દિશામાં વિનાશ

“યરૂશાલેમમાં અને સર્વ યહૂદિયામાં પોકારીને કહો કે,

આખા દેશમાં ભય દર્શાવતું રણશિંગડું વગાડો.
    ‘તમારા જીવ બચાવવાને દોડો!
    કિલ્લેબંધ નગરોમાં નાસી જાઓ!’
સંકેત ધ્વજ ઊંચો કરો, સિયોનને ‘હમણાં જ ભાગી જાઓ.
    વિલંબ કરશો નહિ!’
કારણ કે હું યહોવા ઉત્તર તરફથી તમારા પર
    ભયંકર વિનાશ લાવું છું.”
“સિંહ” પોતાની ઝાડીમાંથી ચઢી આવ્યો છે;
    તે તો પ્રજાઓનો વિનાશક છે;
    તારા દેશને ઉજ્જડ કરવા માટે
તે પોતાના રહેઠાણમાંથી બહાર નીકળ્યો છે;
    તારાં નગરો એવાં ઉજ્જડ થશે કે,
    તેઓમાં કોઇ રહેવાસી જોવામાં આવશે નહિ,
માટે શોકનાં વસ્ત્રો ધારણ કરો, છાતી કૂટો અને વિલાપ કરો,
    કારણ, યહોવાનો ઉગ્ર ક્રોધ હજુ શાંત પડ્યો નથી.
યહોવાએ કહ્યું, “તે દિવસે રાજાઓ
    અને સરદારો ભયને લીધે કાંપશે,
યાજકોને તથા પ્રબોધકોને ભયને
    કારણે ભારે આઘાત લાગશે.”

10 ત્યારે હું બોલ્યો, “આહા, પ્રભુ યહોવા, તેં અમને અને યરૂશાલેમના સર્વ લોકોને પૂર્ણપણે છેતર્યા છે તેઁ તેઓને કહ્યું, ‘તમે શાંતિ પામશો.’ પણ તમાર માથા પર તો તરવાર લટકી રહી છે.”

11 “તે સમય આવી રહ્યો છે,
    જ્યારે યરૂશાલેમના લોકોને કહેવામાં આવશે કે,
અરણ્ય તરફથી તેઓના પર
    બાળી નાખે તેવા પવનો આવે છે.
તે તો ઉપણવાના કે સ્વચ્છ કરવાના
    ઉપયોગમાં આવે તેવો હશે નહિ.
12 મારી તરફથી ખૂબ શકિતશાળી પવન
    તમારી તરફ દોડયો આવશે.
હવે હું તમારી વિરુદ્ધ
    મારો ચુકાદો જણાવીશ.”
13 જુઓ, તોફાની પવનની જેમ લશ્કર
    અમારા પર ચઢી આવશે.
    તેના રથો વાવાઝોડાની જેમ ઘસતા આવે છે,
તેના ઘોડા ગરૂડ કરતાં પણ વેગીલા છે.
    ઓહ! ખરેખર અમે ખલાસ થઇ ગયા.

14 હે યરૂશાલેમ,
    તારા અંતરમાંથી પાપને ધોઇ નાખે,
તો કદાચ તું બચી જાય,
    તું ક્યાં સુધી તારા અંતરમાં પાપી વિચારો સંઘર્યા કરીશ?
15 કારણકે દાનથી અને એફ્રાઇમના પર્વતો પરથી
    તમારા માટેના ચુકાદાની જાહેરાત થઇ ચૂકી છે.
16 “અન્ય લોકોને જાણ કરો,
    યરૂશાલેમમાં દાંડી પિટાવો.
યહૂદિયાના નગરો સામે યુદ્ધનાદો કરતા
    દૂરના દેશથી દુશ્મનો આવે છે.
17 જંગલી પ્રાણીની આસપાસ ભરવાડો ફરી વળે
    તે પ્રમાણે તેઓ યરૂશાલેમને ઘેરી લે છે;
કારણ કે તેના લોકોએ
    યહોવા વિરુદ્ધ બંડ પોકાર્યું છે.”
યહોવા આ વચનો કહે છે.

18 “હે યરૂશાલેમ તારાં પોતાનાં વર્તન અને કાર્યોને કારણે,
    તેં મારી વિરુદ્ધ બળવો કર્યો છે.
માટે આ બધું તારા પર વિત્યું છે.
    આ તારી સજા છે!
કેવી આકરી: તારા હૃદયને એ કેવું વીંધી નાખે છે!”

યર્મિયાનું રૂદન

19 અરે! ઓહ! માંરુ અંતર કેવું વલોવાય છે!
    મારી છાતી કેવી ધડકે છે!
હું શાંત રહી શકતો નથી,
    કારણ મેં રણશિંગડાનો ધ્વનિ સાંભળ્યો છે.
20 સંકટ પર સંકટ આવે છે,
    દેશ આખો ખેદાન મેદાન થઇ ગયો છે,
મારા તંબુઓ એકાએક ઢળી પડ્યા છે.
    તેના પડદાઓના લીરા ઊડે છે.
21 મારે ક્યાં સુધી રણધ્વજ જોવો
    અને રણશિંગડાનો નાદ સાંભળવો?

22 દેવ કહે છે, “જ્યાં સુધી મારા લોકો મૂર્ખતા ન છોડે ત્યાં સુધી,
    કારણ, મારા લોકો મૂરખ છે,
તેઓ મને ઓળખતા નથી; એ લોકો નાદાન બાળકો છે.
    એમને કશી સમજ નથી.
એ લોકો ભૂંડુ કરવામાં ઘણાં ચાલાક છે,
    પરંતુ સાચું આચરણ કરતાં એમને આવડતું નથી.”

વિનાશ આવી ગયું

23 મેં તેઓના દેશ પર ચારે દિશાઓમાં
    જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ષ્ટિ કરી.
સર્વત્ર વિનાશ વેરાયેલો હતો.
    આકાશો પણ અંધકારમય હતા.
24 મેં પર્વતો તરફ જોયું,
    તો તે ધ્રૂજતા હતા.
    બધા ડુંગરો ડોલતા હતા.
25 મેં ષ્ટિ કરી, તો કોઇ મનુષ્ય દેખાયું નહોતું.
    આકાશનાં પંખીઓ સુદ્ધાં ઊડી ગયા હતા.
26 મેં જોયું, તો ખેતરો વેરાન થઇ ગયાં હતાં,
    બધાં નગરો ભોંયભેગા થઇ ગયા હતાં,
    કારણ, યહોવા રોષે ભરાયા હતા.

27 કારણ કે યહોવાએ કહ્યું હતું કે,
“આખા દેશનો વિનાશ થઇ જશે,
    પણ હું તેનો સંપૂર્ણ નાશ નહિ કરું.
28 સમગ્ર પૃથ્વી ચિંતા કરશે અને આકાશ અંધકારમય બની જશે.
    કારણ, યહોવા બોલી ચૂક્યો છે
અને તેનો વિચાર તે બદલનાર નથી,
    તેણે નિર્ણય કર્યો છે અને તેમાંથી ડગનાર નથી.”

29 ઘોડેસવાર અને બાણાવળીનું નામ સાંભળતાં
    જ સમગ્ર દેશ નાસભાગ કરે છે.
    કેટલાક ઝાડીમાં ભરાઇ જાય છે,
કેટલાક ડુંગરો પર ચઢી જાય છે.
    એકેએક શહેર સૂનું થઇ જાય છે,
    કોઇ ત્યાં રહેતું નથી.

30 તેં શા માટે તારા સૌથી સુંદર વસ્ત્રો
    અને ઘરેણાં પહેર્યાં છે?
અને શા માટે આંખોમાં કાજળ લગાવીને
    આંખોને તેજસ્વી કરી છે?
તેનાથી તને લાભ થવાનો નથી.
    તારા પ્રેમીઓ, પ્રજાઓ તારો ધિક્કાર કરે છે
    અને તારો વિનાશ કરવાનું ઈરછે છે.
31 હું કોઇની પ્રસવવેદનાની ચીસ જેવી ચીસ સાંભળું છું.
    પ્રથમ બાળકને જન્મ આપતી વખતે પ્રસૂતિની વેદનાથી કષ્ટાતી સ્ત્રીના સાદ જેવો અવાજ મેં સાંભળ્યો છે.
    એ તો મારા લોકોનો અવાજ છે.
તેઓ હાંફી ગયા છે તેઓ પોતાના હાથને ખેંચી રહ્યા છે
    અને રડે છે, “અમે ડૂબી ગયા છીએ,
    અમારો સંહાર કરી રહ્યા છે, તેની સામે અમે બેભાન થઇ રહ્યા છીએ.”