Add parallel Print Page Options

સૈન્યોનો દેવ યહોવા કહે છે, “જુઓ, તે દિવસ આવી રહ્યો છે જ્યારે બધા અભિમાની અને દુષ્ટ લોકો તરણાંની જેમ સળગી જશે. તે દિવસે સૂકાં ઝાડની જેમ બળીને ખાખ થઇ જશે. તેમનું નામોનિશાન નહિ રહે.

“પરંતુ તમે જેઓ મારા નામથી ડરીને ચાલો છો તેઓના માટે મુકિતનો સૂર્ય ઉદય પામશે અને તેનાં કિરણો તમારા બધા ઘા રૂજાવશે અને તમે કોઠારમાંથી છૂટેલાં વાંછરડાની જેમ નાચતાકૂદતા ને ગેલ કરતા હશો. તમે દુષ્ટોને કચડી નાખશો.” સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમે તે દિવસે અધમ લોકોને તમારા પગ તળે છૂંદશો. હું આ પ્રમાણે કરીશ. તે દિવસે તેઓ તમારાં પગનાં તળિયાં નીચે રાખની જેમ રગદોળાશે.”

“મેં મારા સેવક મૂસાને હોરેબમાં સમસ્ત ઇસ્રાએલ માટે જે નિયમો અને આજ્ઞાઓ ફરમાવ્યાં હતાં તે મૂસાના નિયમને યાદ રાખો.”

“જુઓ! યહોવાનો મહાન અને ભયંકર ચુકાદાનો દિવસ આવે તે પહેલાં, હું તમારી પાસે એલિયા પ્રબોધકને મોકલી દઇશ. તેના ઉપદેશો પુત્રો અને પિતાઓને એક મનનાં અને એક હૃદયના થવા માટે સમજાવશે અને ભેગા કરશે. જો આમ નહિ થાય તો તેઓ જાણશે કે હું આવીને પૃથ્વીને અભિશાપ આપીશ અને તેનો સંપૂર્ણ વિનાશ કરીશ.”