Add parallel Print Page Options

વ્યભિચાર સામે ચેતવણી

મારા દીકરા, મારા ડહાપણને સાંભળજે અને મારા શાણા શિક્ષણ પર ધ્યાન આપજે. જેથી કરીને તારી વિવેકબુદ્ધિ જળવાઇ રહે, અને તારી વાણીમાં જ્ઞાન આવે. કારણ કે અજાણી સ્ત્રીના હોઠોમાંથી મધ ટપકે છે. અને તેની વાણી તેલ કરતા સુંવાળી હોય છે. પણ તેનો અંત વિષ જેવો કડવો અને બેધારી તરવાર જેવો તીક્ષ્ણ હોય છે. તેણીના પગ મૃત્યુ સુધી પહોંચે છે અને તેણીનાં પગલાં શેઓલમાં પહોંચે છે. તેણી સાચા રસ્તે જવાની મનાઇ કરે છે અને તેણીને ખબર નથી કે પોતાના માર્ગેથી તેણી રખડી પડશે.

તેથી મારા પુત્રો, મારી વાત સાંભળો, અને હું જે કહું છું તેનાથી દૂર થઇશ નહિ. પરસ્ત્રીથીં દૂર રહેજે અને તેના ઘરના બારણાં પાસે જતો નહિ. રખેને તું તારી સંપતિ ખોઇ બેસે અને તારું જીવન નિર્દય ઘાતકી માણસોના હાથમાં જાય. 10 રખેને તારી શકિત પારકાને મળે અને તારી મહેનતના ફળ બીજાના કુટુંબને મળે. 11 તું અંત સમયે આક્રંદ કરીશ જ્યારે તારું હાડમાંસ અને શ રીરનો વિનાશ થઇ જશે. 12 અને તું કહીશ કે, “મેં કેમ શિક્ષણને ધિક્કાર્યું અને મારા અંત:કરણના ઠપકાને તુચ્છ ગણ્યો! 13 શા માટે મેં મારા ગુરૂજનોનું કહ્યું માન્યું નહિ, અને મને શિક્ષણ આપનારાઓ પ્રત્યે ધ્યાન નહોતું રાખ્યું! 14 હું તો લોકોની દરેક અનિષ્ટ વસ્તુઓમાં સંકળાયેલો હતો.”

15 તારા પોતાના ટાંકામાંથી અને તારા પોતાના કૂવાના ઝરણામાંથી જ પાણી પીજે. 16 તારા પાણીના ઝરાને શરીઓમાં ઉભરાવા દઇશ નહિ. 17 એ પાણી ફકત તારા એકલા માટે જ હો, તારી સાથેના બીજાઓ માટે નહિં. 18 ભલે એ તારા ઝરણાઓને ઘણી સંતતિ મેળવવાના આશીર્વાદ મળે. તારી પોતાની યુવાન પત્ની સાથે તું આનંદ માન. 19 જે હરણી જેવી સુંદર અને પર્વતીય મૃગલી જેવી જાજરમાન નારી છે તેના સ્તનોથી તું સદા સંતોષ પામ અને તેના પ્રેમમાં જ તું નિરંતર મગ્ન રહે. 20 મારા પુત્ર, શા માટે તારે પરસ્ત્રી પર મોહિત થવું જોઇએ? શા માટે તારે પરસ્ત્રીના શરીરને આલિંગન આપવું જોઇએ?

21 કારણ કે, માણસના પ્રત્યેક વર્તન-વ્યવહાર ઉપર યહોવાની નજર હોય છે. અને તે જે કાઇં કરે છે તેના ઉપર તે ધ્યાન રાખે છે. 22 દુરાચારી તે તેમના પાપોમાં સપડાય છે અને તેમના પાપો તેમને દોરડાની જેમ જકડી રાખે છે. 23 કારણકે, સંયમના અભાવે તે મરી જશે અને તેની મૂર્ખતા ને કારણે તે છકી જશે.