Add parallel Print Page Options

આ પુસ્તક એલ્કોશીમાં રહેતા નાહૂમને નિનવેહ પર આવી રહેલા વિનાશ વિષે દેવે આપેલું સંદર્શન છે:

નિનવેહ પર યહોવાનો પ્રકોપ

યહોવા ઇર્ષાળું દેવ છે.
    તેઓ ક્રોધે ભરાઇને
    બદલો લેનાર દેવ છે.
તે પોતાના શત્રુઓ પર વૈર વાળે છે.
    તે પોતાના શત્રુઓ પર કોપાયમાન રહે છે.
યહોવા ગુસ્સે થવામાં ધીમા છે.
    તેમની પાસે મહાન શકિત છે.
અને તે ચોક્કસપણે ગુનેગારોને
    દંડ્યા વગર જવા દેતા નથી.
પ્રચંડ ઝંજાવાત અને વાવાઝોડામાં
    થઇને યહોવાનો માર્ગ જાય છે.
    વાદળો તેના પગની રજ છે.
તે સાગરને ધમકાવે છે અને મહાસાગરો સૂકવી દે છે.
    તે નદીઓ સૂકાવીને રેતીમાં ફેરવી દે છે;
બાશાન અને કામેર્લના લીલાંછમ પ્રાંતો સૂકાઇ જાય છે;
    લબાનોનનાં ફૂલો કરમાઇ જાય છે.
તેમને કારણે પર્વતો ધ્રુજે છે.
    ને ડુંગરો ઓગળી જાય છે.
તેમની સામે પૃથ્વી ધ્રુજે છે,
    દુનિયા અને તેમાં વસતા
    બધા જીવો હાલી ઊઠે છે.
યહોવાના રોષ આગળ કોણ ટકી શકે?
    તેના ક્રોધનો તાપ કોણ સહી શકે?
તેનો ક્રોધ અગ્નિની જેમ વરસે છે
    અને તે ખડકોના ચૂરેચૂરા કરી નાખે છે.
યહોવા ભલા છે;
    મુશ્કેલીના સમયમાં તે આપણને આશ્રય આપે છે!
    તેને શરણે આવનારનું તે ધ્યાન રાખે છે.
પરંતુ તે પોતાના શત્રુઓનો પ્રચંડ
    ઘસમસતા જળપ્રલયથી સંપૂર્ણ નાશ કરે છે;
    અને તેઓને અંધારામાં ધકેલી દે છે.
હે નિનવેહ, યહોવા વિરૂદ્ધ તમે શું ષડયંત્ર રચો છો?
    તે તમારો સંપૂર્ણ નાશ કરી નાખશે.
    તું બીજીવાર મુશ્કેલી ઊભી નહિ કરી શકે.
10 કાંટા વચ્ચે અટવાયેલાની જેમ,
    જેઓ પીધેલા છે તેની જેમ,
અને સંપૂર્ણ રીતે કરમાયેલા,
    લણી લીધેલા ખેતરની જેમ હશે
    તોપણ તેઓને તે ભરખી જશે.

11 યહોવાની વિરૂદ્ધ દુષ્ટ યોજના કરનાર તમારામાંથી એક બહાર આવે.
    તે દુષ્ટ સલાહકાર છે.
12 યહોવા પોતાના લોકોને કહે છે,
“તમારા શત્રુઓ ગમે તેવા બળવાન
    અને અસંખ્ય હશે તેમ છતાં તેનો નાશ થશે.
    તેમનું નામોનિશાન નહિ રહે.
મેં તમને શિક્ષા કરી છે છતાઁ
    હું હવે તમને સજા નહિ કરું!
13 અને હવે હું તમારી સાંકળી તોડી નાખીશ
    અને આશ્શૂરના રાજાની ગુલામીના
    બોજમાંથી તમને મુકત કરીશ.”

14 યહોવાએ તમારા માટે આ હુકમ આપ્યો છે,
    “તારા કુળની હારમાળા ખલાસ થઇ જશે.
તારા મંદિરોની મૂર્તિઓ
    અને પ્રતિમાઓનો હું નાશ કરીશ.
હું તને દફનાવી દઇશ! કારણકે
    તું તિરસ્કૃત થયો છે!”

15 જુઓ, પર્વત પર સંદેશાંવાહકોના પગલાં છે;
    તે શાંતિના સારા સમાચાર લાવી રહ્યાં છે.
    હે યહૂદિયાના લોકો,
તમારા ઉત્સવો ઊજવો,
    તમારા વચનો પૂરા કરો,
કારણ હવે કદી દુષ્ટ લોકો તમારા પર આક્રમણ કરશે નહિ,
    તેમનો સમૂળગો નાશ કરવામાં આવ્યો છે.